🔔 હું, તમે ને આપણે સહુ !
– નિલેશ ધોળકીયા
દરેક માઁ એવું ઈચ્છે કે એમનો લાડલો રમતીયાળ, નટખટ, તોફાની ને રાધાઓનો પ્યારો કાનુડો બને અને દરેક બહેન પણ એવું ઈચ્છે કે એમનો ભાઈ માઁ+બાપની સેવામાં જાત ઘસી નાંખનારો શ્રવણ જેવો બને : એ જ માઁ પોતાને જવાબ આપે કે એમનો વર/પતિ/જીવનસાથી ય કોઈનો દીકરો છે તે એ કિશન / કનૈયો બને તો કેમ વાંધો પડે છે !? એ બહેને પણ ખાસ વિચારવું કે એમનો હસબંડ ઉર્ફે લાઈફ પાર્ટનર પણ કોઈ બહેનનો ભાઈ જ છે ને !તો એને ય શ્રવણ બનવા દેવો.
વેરવિખેર પરિવાર, તુટી રહેલો સમાજ અને દમ તોડતા સંબંધો ! આ બધું કેમ થઈ રહ્યું છે?
ઘણે અંશે માવતરો જરુરતથી વધારે દીકરીઓના ઘરમાં હસ્તક્ષેપ કરી તેમનું ઘર ભંગાવે છે ! એ વાત કોઈએ ન ભુલવી કે લગ્ન પછી દીકરીના અસલી માઁ-બાપ તેના સાસુ સસરા છે.
આધુનિક શિક્ષણના નામે લજ્જા, મર્યાદા સંસ્કાર વિનાના બાળકોના લગ્ન બાબતે હવે તો સંબંધ નહીં નર્યા સોદા જ થાય છે.
દાયકાઓ અગાઉ પરીવારની ખાનદાની જોવાતી, સામાજીક મોભો તથા સંસ્કાર જોવાતા. બદભાગ્યે આજે મોટાભાગે તો મનની નહીં તનની સુંદરતા, નોકરી, દૌલત, કાર, બંગલા જોવાય છે. છોકરાવાળાઓને છોકરી મોટા ઘરની જોઈએ છે જેથી મર્તબો, ભરપૂર કરીયાવાર મળી શકે અને છોકરીવાળાને પૈસાપાત્ર છોકરા જેથી બેટીને કામ કરવું ન પડે.
નોકર-ચાકર હોય. પરિવાર નાનકડો જ હોય જેથી (કહેવાતી ને મનાતી) જંજાળ ન હોય. નિમ્ન કક્ષાની વિચારધારાથી કુટુંબો વધારે નાના થઈ ગયા છે. દાદા-દાદી તો એક બાજુ, માઁ-બાપ પણ બોજ બની ગયા વર્તાય છે. પરીવાર મતલબ પતિ પત્ની અને બાળકો, બસ.
સંયુક્ત અને મોટો પરીવાર હંમેશા સારો હોય છે. પાંચમાંથી ત્રણ ખોટા હોય તો બે તો ખરા ય હોય કેમકે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. પણ પાંચ આંગળી ભેગી થઈ જતાં પંજો બનતો હોય છે. પહેલા કહેવાતું કે, મારી દીકરી ઘરના બધાં જ કામ જાણે છે, ઘરકામમાં બહુ જ હોંશિયાર છે, જ્યારે આજે એવું સંભળાય છે કે, અમે દીકરીને કયારેય ઘરનું કામ જ નથી કરવા દીધું. આવુ કહેનારા તો પોતાની મોટી શાન સમજે છે.
અમુક દંભી લોકો સંબંધ નહીં, વધુ બહેતરની ખોજ કરે છે. કારની જેમ મૅરેજ બ્યુરોની પણ બજારો ભરાય છે, કદાચ. નવી ગાડી લોંચ થઈ જાય એવી લાલચના ચક્કરમાં ઉંમર વધતી જાય છે ને છેવટે સંતાન તથા માવતરો તાણ કે ડીપ્રેશનનો ભોગ બને છે.
યોગ્ય ઉંમરમાં ચમક અને જુસ્સો તથા ખુશાલી હોય છે એ આધેડ થયા પછી નથી રહેતી – ભલે લાખ ટાપટીપ કે રંગરોગાન કરાવી લો – બ્યુટી પાર્લરમાં જઈને ચહેરો ચમકાવી શકાય, હૈયાના હિલોળા નહીં.
પ્રસન્ન જીવન જીવવા માટે સંતોષ સાથે બે રોટલી અને એક નાનકડા ઘરની જરુર છે અને સૌથી જરુરી આપસી તાલમેલ અને સ્નેહ+સ્મિતની, સમજદારીની.
દરેક માણસને હાથ-પગ બાંધીને જ ગુલામ નથી બનાવતા, ઘણાં લોકો વિચારો પર હાવી થઈને, વિચારોને કુંઠીત કરી નાંખીને, વિચારોને નબળા પાડીને અને બીજાના વિચારોને ડાયવર્ટ કરીને એમને ગુલામ બનાવી દે છે.
જાતે પગભર થયેલા માણસને પગરખાની કીંમત પણ યાદ હોય છે કારણ કે સમય, સબંધ, અને સમાજે ઘણું બધું સમજાવી, શિખવાડી દીધું હોય છે.
૨૭ માર્ચ=વર્લ્ડ થીએટરદિને વધાઈ🌹