Views: 2987
Read Time:2 Minute, 9 Second
વિનોદ ભટ્ટની ચોથી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત વિનોદ સભા
આપણાં સૌનાં હ્દયસ્થ એવા ' વિનોદ ભટ્ટ 'ની તારીખ ૨૩ મે, ૨૦૨૨ ના રોજ ચોથી પુણ્યતિથિ હતી. આ નિમિત્તે ૨૩ મે, ૨૦૨૨ના રોજ અમદાવાદના નવજીવન ટ્રસ્ટ અને ઝેડ-કેડ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં આવેલ જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં સાંજે ૫:૪૫ વાગ્યે ' વિનોદ સભા' નું ' વિનોદ પ્રેમીઓ ' દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. વિનોદભાઈના સુપુત્ર શ્રી સ્નેહલ ભટ્ટ, વિનોદભાઈના ખાસ મિત્ર એવા શ્રી ભાગ્યેશભાઈ જ્હા, નવગુજરાત સમયના તંત્રીશ્રી અને વિનોદપ્રેમી અજયભાઈ ઉમટ, વિનોદભાઈને પોતાના ગુરુ તુલ્ય માનતાં જાણીતાં હાસ્યલેખક શ્રી અશોકભાઈ દવે અને વિનોદભાઈના સમસુખીયા શ્રી રતિલાલ બોરીસાગરે ખાસ ઉપસ્થિત રહીને ' વિનોદ ભટ્ટ ' ને યાદ કરીને તેમને હાસ્યાન્જલી આપી હતી. લેખક શ્રી રામ મોરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. આખા ખીચોખીચ ભરેલા હોલમાં વક્તાઓએ વિનોદ પ્રેમીઓને ખરેખર ' વિનોદ ' કરાવી દીધો હતો. છેલ્લે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત વિનોદ ભટ્ટનાં પુસ્તકો ખરીદવા માટે લોકો તલપાપડ થયાં હતાં, તે જોઈને ચોક્કસ લાગે છે કે હજુ પણ ઘણાં વર્ષો સુધી વિનોદ ભટ્ટ આપણા હ્રદયમાં નિવાસ કરશે. આવતાં વર્ષે ફરીથી આવી જ અદ્ભુત ' વિનોદ સભા' માણવાની ઈચ્છા સાથે સૌ છુટાં પડ્યાં હતાં.