સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં જ સીંગતેલના ભાવમાં રૂ. 30 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 230નો તોતિંગ વધારો ઝીંકાયો છે.
આ ભાવ વધારાને કારણે હાલ સીંગતેલનો ડબ્બો રૂ. 2730 અને કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2610 પર પહોંચી ગયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, પાછોતરા વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અને બજારમાં માલની અછતને કારણે ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં માસિક અંદાજે 25,000 ડબ્બાનું વેચાણ થાય છે, જેના કારણે આ ભાવ વધારાથી પ્રજા પર માસિક રૂ. 65 લાખનું વધારાનું આર્થિક ભારણ આવશે.
છેલ્લા 5 મહિનામાં કુલ 5 વખત ભાવ વધારો થતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુદ્ધની સ્થિતિને કારણે વિદેશી તેલની આવકમાં ઘટાડો થતા સ્થાનિક બજારોમાં પણ તેની સીધી અસર વર્તાઈ રહી છે.