સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લો એક એવો વિસ્તાર છે જ્યાં હનુમાનજીના સૌથી વધુ મંદિરો આવેલા છે.
સમગ્ર જીલ્લામાં અંદાજે 4000 થી વધુ અને શહેરી વિસ્તારમાં 1500 થી વધુ નાના-મોટા હનુમાનજીના મંદિરો છે, જેને કારણે હનુમાન જયંતીના દિવસે આખું શહેર ‘હનુમાન નગર’ બની ગયું હતું. દરેક ગલી અને મહોલ્લામાં આવેલા મંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.
આ અવસરે ડોક્ટર હનુમાન, ભીડભંજન હનુમાન અને કષ્ટભંજન હનુમાન સહિતના તમામ મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા હતા.
દિવસ દરમિયાન સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ, બટુક ભોજન, ભવ્ય આરતી અને લોકડાયરા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ ‘હનુમાન દાદા કી જય’ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.