સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને ધ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે તેમજ રાજકીય પક્ષો દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. જે અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે જે ચુંટણીમાં જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે મનપાની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ અલગ અલગ વોર્ડના ૦૬ ઉમેદવારો સહિત અંદાજે ૬૦ થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ કક્ષાએ કાર્યકરોની અવગણના અને સંગઠનનો અભાવ તેમજ આંતરિક વિખવાદને કારણે પક્ષને છોડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાય કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. જયારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર તમામ આગેવાનો અને કાર્યકરોનું જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા, વિપુલ ચૌહાણ સહિતનાઓએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારો દીપક ચિહલા, ભાવિન મર્યા, કૃણાલ શાહ, નેન્સી શાહ સહિતના ૬૦ થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાતા આવનાર ચૂંટણી પરિણામ પર તેની અસર પડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.