સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણ ખાતે આવેલા હવા મહેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા રહી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપમાં નારાજ રહેલા આગેવાનો અને કાર્યકરોને સમજાવીને પક્ષમાં પાછા જોડાવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ પક્ષો ચૂંટણી જીતવા કરતાં સોશિયલ મીડિયામાં દેકારો કરી લોકોમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો લોકો વચ્ચે જોવા પણ નહીં મળે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે જ મતદારોના પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા તથા ઘર-ઘર સંપર્ક અભિયાન દ્વારા વિકાસના મુદ્દાઓ સાથે મત માંગવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
