ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ સિંધવનું ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાતા શંકાસ્પદ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે બનાવ અંગે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ મહાવીરસિંહ સિંધવ થોડા સમય પહેલાં બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા આવ્યો હતો જેમાં સોમવારે મોડી રાત્રે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા કેટલાક લોકો સાથે તેની બોલાચાલી થઈ હતી જે મામલો ઉગ્ર બનતાં મારામારી સુધી પહોંચ્યો હતો અને ઘટનાની જાણ સ્થાનિકોએ ઇમરજન્સી નંબર ૧૧૨ પર કરી હતી. આથી પોલીસ આવવાની જાણ થતાં મહાવીરસિંહ સિંધવ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે દરમિયાન ફ્લેટના ચોથા માળે આવેલ ગેલેરીમાંથી નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં બોપલ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાની વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જ્યારે મૃતકની અંતિમયાત્રા મંગળવારે સાંજે તેના વતન ચોકડી ગામ ખાતે કાઢવામાં આવી હતી જેમાં પરિવારજનો, ગ્રામજનો, મિત્રો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહાવીરસિંહ સિંધવ અગાઉ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યો હતો. વર્ષ ૨૦૨૦માં ટીકર ખાતે યોજાયેલા લોકડાયરામાં સ્ટેજ પર ચલણી નોટોનો વરસાદ કરવાના બનાવ બાદ તે રાજ્યભરમાં ચર્ચામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ ૨૦૨૩ દરમિયાન ડ્રગ્સ કાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંડોવણીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત હથિયારની અણીએ લૂંટ ચલાવવાના ગુનામાં પણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી ગામમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. માથાભારે શખ્સ તરીકે ઓળખાતા મહાવીરસિંહ સિંધવના અચાનક થયેલા શંકાસ્પદ મોતને લઈને વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે ઘટનાનું ચોક્કસ કારણ અને તમામ હકીકતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
– Viren Dangrecha.


