સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી માટે તા.૧૧ જૂનને ગુરુવારના રોજ યોજાનારી બેઠક અંતિમ ક્ષણે મુલતવી રાખવામાં આવતા સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે જ્યારે વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી હજુ પણ બાકી છે જે વરણી સંદર્ભે ગત તા.૦૬ જુનના રોજ બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ તે બેઠક કોઈ કારણોસર સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી તા.૧૧ જુનને ગુરુવારના રોજ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ફરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠક પણ ફરી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી. જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન પદની વરણીને લઈને આંતરિક સ્તરે અસંતોષ અને નારાજગીનો સૂર ઉઠ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે જો કે બેઠક મુલતવી રાખવા અંગે જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોએ કાંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે બીજી બાજુ ચેરમેન પદ માટેના નામો જાહેર થયા બાદ સ્થાનિક ભાજપમાં રહેલ અસંતોષ ખુલ્લેઆમ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ વિવિધ સમિતિના ચેરમેનોની વરણી અંગેની બેઠક વારંવાર મુલતવી રાખવામાં આવતા જીલ્લા પંચાયતના રાજકારણમાં અનેક અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે આગામી બેઠક ક્યારે યોજાશે અને ચેરમેનોની વરણી ક્યારે થશે તેના પર સૌની મીટ મંડાઈ છે.
– Viren Dangrecha.

