સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ પક્ષને રામ રામ કરી ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી એપ્રિલમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે ચોટીલા કોંગ્રેસના આગેવાન તેમજ કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ, મોટા કાંધાસર ગામના સરપંચ વિરમભાઈ સોળમિયા, ભરતભાઈ મકવાણા સહિતનાઓએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન અને કાબરણ ગામના સરપંચ રત્નાભાઈ ડાભીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે સાથે સાથે અમુક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ખાચર સહિતના હોદેદારોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આમ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારોએ પક્ષ સાથે ચૂંટણી પહેલા છેડો ફાડી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.