સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓ અને પોલીસ ટીમોની રેકી કરી ભૂમાફિયાઓને માહિતી પહોંચાડતા બાતમીદારો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મુળી, સાયલા અને થાન તાલુકામાંથી અંદાજે ૪૦ થી વધુ બાતમીદારોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા બાતમીદારો અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગની રેઇડ અને તેમના લોકેશન સહિતની ગુપ્ત માહિતી પહોંચાડતા હતા. જેના કારણે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હતું. આ ઉપરાંત બાતમીદારો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરી ભૂમાફિયાઓને ગેરકાયદેસર ખનન માટે છૂટો દોર આપતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ લીંબડી અને ચોટીલા DYSP સહિત સાયલા, મુળી અને થાન પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

– Viren Dangrecha.
