સમગ્ર ગુજરાતમાં તા.20 મે ને બુધવારના રોજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે. જેના સમર્થનમાં સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કેમિસ્ટ એસોસિએસન દ્વારા તા.20 મે ને બુધવારના રોજ તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધમાં જોડાશે. જે અંગે મળતી માહિતી મુજબ ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને નિયમોના ઉલ્લંઘન સામે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે જેનો ઠેર ઠેર કેમિસ્ટો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બંધના એલાનના સમર્થનમાં સુરેન્દ્રનગર જીલ્લાના કેમિસ્ટો અને મેડિકલ સ્ટોરના સંચાલકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને મેડિકલ સ્ટોર્સ બંધ રાખશે. સુરેન્દ્રનગર જીલ્લાના અંદાજે 400 થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધના એલાનમાં જોડાશે જે અંગે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર અને નિયમોનું પાલન કર્યા વગર દવાઓના વેચાણ થી દર્દીઓની સુરક્ષા સાથે આરોગ્યને પણ જોખમ રહેલું છે આથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. દર્દીઓને હાલાકી ન પડે તે માટે સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા જીલ્લામાં તા.20 મે ના બુધવારના રોજ ૧૧ મુખ્ય મેડિકલ સ્ટોર્સ ૨૪ કલાક ખુલ્લા રહેશે જેથી બંધ દરમિયાન તાત્કાલિક દવાની જરૂરિયાતવાળા દર્દીઓને કોઈ મુશ્કેલી નહીં પડે.
સુરેન્દ્રનગર જીલ્લામાં તા.૨૦ મે ને બુધવારના રોજ બંધ દરમિયાન ૨૪ કલાક ખુલ્લા રહેનાર મેડિકલ સ્ટોર્સ
(૧) રાજ ફાર્મસી, મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર (૨) સી.જે. હોસ્પિટલ મેડિકલ સ્ટોર, સુરેન્દ્રનગર (૩) સવા આયુષ હોસ્પિટલ મેડિકલ સ્ટોર, જોરાવનગર (૪) પૂજા મેડિસીન્સ, વઢવાણ (૫) યોગી મેડિકલ સ્ટોર્સ, લીંબડી (૬) ન્યુ પ્રિન્સ મેડિસીન્સ, ચોટીલા (૭) રાધે મેડિકલ સ્ટોર, પાટડી (૮) પટેલ મેડિકલ સ્ટોર, લખતર (૯) રોયલ મેડિકલ સ્ટોર્સ, થાન (૧૦) એ.એમ. એન્ડ કંપની, ચુડા (૧૧) અગ્રવાલ મેડિકલ, ધ્રાંગધ્રા
– Viren Dangrecha.
