સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે ૪૦ થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને જૂથબંધીના કારણે અસંતોષ જોવા મળી રહ્યો છે જેના પગલે સતીશભાઈ ગમારા સહિતના કાર્યકરોએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને આ રાજકીય ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના આગેવાનોના આ નિર્ણયથી સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
