સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રહેતા અનિલભાઈ પરમારે બે શખ્સો પાસે ગીરવે મુકેલા ૩૫ તોલા સોનાના દાગીના સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુએ માત્ર ૦૬ કલાકમાં પરત અપાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ અનિલભાઈ પરમારે જાલાભાઈ બાંભા અને હિતેશભાઈ ખરગિયા નામના બે શખ્સો પાસે ૩૫ તોલા સોનાના દાગીના ગીરવે મૂકી રોકડ રકમ ઉછીની લીધી હતી. બાદમાં અરજદારે લીધેલી રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં બંને શખ્સો વધુ રકમની માંગણી કરતા હતા. આથી આ અંગે અરજદારે સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને એસ.પી.એ તાત્કાલિક એ-ડિવિઝન પોલીસને સૂચના આપી બંને શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ કાર્યવાહી બાદ બંને શખ્સો પાસેથી અંદાજે રૂ.૫૧ લાખની કિંમતના ગીરવે મુકાયેલા સોનાના દાગીના પરત મેળવવામાં આવ્યા હતા, જે એસ.પી. પ્રેમસુખ ડેલુએ અરજદારને પરત સોંપ્યા હતા. આ પ્રસંગે એસ.પી. પ્રેમસુખ ડેલુએ વ્યાજખોરો, અસમાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કોઈપણ પ્રકારના ડર વગર આગળ આવી રજુઆત અને ફરિયાદ કરવા અપીલ પણ કરી હતી.

