સુરેન્દ્રનગર જીલ્લામાં ગત તા.૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ આજે તા.૨૮ એપ્રિલના રોજ સવારના ૦૯.૦૦ વાગ્યા થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ ૩૦ થી વધુ સ્થળો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગત તા.૨૬ એપ્રિલના રોજ થયેલ મતદાન પર નજર કરીએ તો સતાવાર રીતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ફુલ ૫૪.૬૭%, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની ફૂલ ૩૨ બેઠક માટે ૬૩.૭૬%, ૧૦- તાલુકા પંચાયત માટે ૬૪.૨૬% અને ૦૫-નગરપાલિકા માટે ૬૩.૦૧% મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફૂલ ૩૭૭ બેઠકોમાંથી ૩૮ બેઠકો બિનહરીફ બની હતી અને બાકીની ૩૩૯ બેઠકો માટે ફૂલ ૧૧,૬૦,૫૩૫ મતદારો નોંધાયા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત ફૂલ ૯૩૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સિલ થયા હતા. ચુડા તાલુકાના જેપર મતદાન મથક સિવાય જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ત્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજ ખાતે તેમજ વઢવાણ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો માટે ૬૦ ફૂટ રોડ પર આવેલ મહિલા આઈટીઆઈ ખાતે અને જે તે તાલુકા મથકો ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સવાર થી મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થતા હાર અને જીતનું ચિત્ર સ્પષ્ટ થશે.
