સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરની અંબિકા પાર્ક સોસાયટી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સોનાના દાગીના બનાવનાર વ્યક્તિના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો દ્વારા રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જે બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ LCB પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા જવાના છે જેના આધારે પોલીસે દુધરેજ કેનાલ નજીક વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૩૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં આશરે ૧૧ જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા હાલ વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી રહી છે અને અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ (૧) રવિ હકાભાઈ પાટડિયા (રહે. મફતિયાપરા, સુરેન્દ્રનગર) અને સતિષ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો બટુકભાઈ વ્યાસ (રહે. ફિરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર) વાળા હોવાનું બહાર આવ્યુ હતું. આ સમગ્ર કામગીરીમાં જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઈ એન.એ. રાયમા સહિત સ્ટાફના અજ્યવીરસિંહ, પ્રવિણભાઈ, દેવરાજભાઈ, અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ, ચંદ્રવિજ્યસિંહ, મેહુલભાઈ, વજાભાઈ, ગિરિરાજસિંહ, યુવરાજસિંહ સહિતનાઓ જોડાયા હતા.

