સુરેન્દ્રનગર, તા.૨૦
સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણીયાએ જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી ઝાલાવાડમાં મીઠી ક્રાંતિની સુવાસ ફેલાવી છે. માત્ર ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલા ભરતભાઈએ પરંપરાગત ખેતી છોડીને મધમાખી ઉછેર ક્ષેત્રે સાહસિક પગલું ભર્યું હતું. અમદાવાદના ખાદી ગ્રામઉદ્યોગમાંથી તાલીમ મેળવી તેમણે માત્ર ૫૦ પેટીઓથી શરૂઆત કરી હતી. આજે સાત વર્ષની સતત મહેનત બાદ પાંચ એકર જમીનમાં શ્રી રામરસ હની ફાર્મ કાર્યરત છે. જ્યાં ૬૦૦ પેટીઓ દ્વારા મધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મધમાખી પાલન હવે ભરતભાઈ માટે માત્ર વ્યવસાય નહીં પરંતુ આત્મનિર્ભરતા અને ગૌરવનું પ્રતિક બની ગયું છે. હાલમાં તેઓ દર વર્ષે અંદાજે ૦૫ થી ૦૭ ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરી રહ્યા છે. સાથે જ ભવિષ્યમાં આમળા કેન્ડી બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી વ્યવસાયમાં વધુ મૂલ્યવર્ધન કરવાની યોજના પણ બનાવી રહ્યા છે. મધમાખીઓ દ્વારા થતા કુદરતી પરાગનયનના કારણે આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં ખેતી ઉત્પાદન વધતા અન્ય ખેડૂતોમાં પણ જાગૃતિ આવી છે. પરિણામે હવે અનેક ખેડૂતો ભરતભાઈને પોતાના ખેતરોમાં મધમાખીની પેટીઓ મૂકવા આમંત્રણ આપી રહ્યા છે. ઝાલાવાડ જેવા રૂઢિચુસ્ત ખેતીપ્રધાન વિસ્તારમાં ભરતભાઈ ડેડાણીયાએ મધમાખી પાલન દ્વારા આર્થિક સમૃદ્ધિની નવી દિશા બતાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

– Viren Dangrecha.
