સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ૦૮ શખ્સોને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કર્યા છે. જે અંગે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ચોટીલા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં અમુક શખ્સો દ્વારા દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. આ શખ્સો માથાભારે અને ઝનૂની સ્વભાવના હોવાના કારણે લોકોની શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર ન પહોંચે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે તે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તમામ શખ્સો વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી ડીવાયએસપી મારફતે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને મોકલવામાં આવી હતી. ત્યારબાદ તમામ શખ્સોને ન્યાયના હિતમાં પોતાનો બચાવ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ કેસ ઠરાવ પર લઈ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
