સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવતા વાહન ચાલકો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ ચોમાસા દરમિયાન ભોગાવો નદીમાં પાણીના પ્રવાહને કારણે આ માર્ગનું વારંવાર ધોવાણ થતું હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેમાં ખાસ કરીને રતનપર વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોને સુરેન્દ્રનગર શહેરમાં અવરજવર કરવા માટે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ત્યારે હાલમાં રસ્તાના રિપેરિંગ કામ માટે જેસીબી સહિતના સાધનો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સાથે જ દર વર્ષે ચોમાસામાં ઉભી થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભવિષ્યમાં અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તકે વોર્ડ નંબર ૧૦ ના ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારો ભાવેશભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ ચાંપાનેરી, સોનલબેન દવે, જશુબેન વેગડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
