સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા પિતા અને પુત્ર એવા બન્ને પૂર્વ સભ્યોને ટિકિટ આપવામાં નહીં આવતા અસંતોષ ફાટી નીકળ્યો હતો. પરિણામે બન્નેએ બળવો કરી અલગ અલગ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર ૦૩ના અપક્ષ ઉમેદવાર જામાભાઈ મોતીભાઈ ગરીયા તેમજ વોર્ડ નંબર ૦૪ના અપક્ષ ઉમેદવાર હરેશ જામાભાઈ ગરીયાના સંયુક્ત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહેતા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને મળતા સમર્થનને લઈ ચર્ચાઓ તેજ બની છે. જ્યારે બંને ઉમેદવારોએ અગાઉ લોકો વચ્ચે રહી કરેલા વિકાસ કાર્યો અને ઝડપી સમસ્યા નિરાકરણને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો દાવો કર્યો હતો. મતદારો તરફથી મળતા પ્રતિસાદને ધ્યાનમાં રાખતા વોર્ડ નંબર ૦૩ અને ૦૪માં અપક્ષ ઉમેદવારો મજબૂત પડકાર ઊભો કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
