સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સતાવાર બેઠક યોજાયા બાદ મેયર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફૂલ ૫૨ બેઠકોમાંથી ૫૧ બેઠકો પર ભાજપની જીત થઈ હતી જ્યારે ૦૧ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલ ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને ભાજપની જીત બાદ વઢવાણ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મનપાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારો માટે મનપા કમિશનર જે.એસ.જાદવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ભાજપના ચૂંટાયેલા સદસ્યો દ્વારા પ્રથમ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા અનુ.જાતિમાંથી મેયર, બ્રહ્મ સમાજમાંથી ડેપ્યુટી મેયર, જૈન સમાજમાંથી કારોબારી ચેરમેન, કોળી ઠાકોર સમાજમાંથી શાસક પક્ષના નેતા અને સોની સમાજમાંથી દંડક તરીકે વરણી કરતા દરેક સમાજને એકંદરે ન્યાય આપી આવરી લેવામાં આવ્યો હતો. જયારે નવનિયુકત સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયરએ પોતાની વરણી બાદ લોકોને પાણી, રોડ, રસ્તા, સફાઈ, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની અને વિકાસના કામોને અગ્રીમતા આપવાની ખાતરી આપી હતી. આ વરણી પ્રક્રિયા દરમિયાન લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત ભાજપના હોદેદારો, આગેવાનો, મનપાના ચૂંટાયેલા ભાજપના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુકત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જો કે આ સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન સુરેન્દ્રનગર મનપાના કમિશનરે મીડિયા કર્મીઓને અળગા રાખતા ક્યાંકને ક્યાંક મનપા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
– Viren Dangrecha.

