ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ નજીક પૂઠાં સહિતનો માલસામાન ભરીને જઈ રહેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રક ચાલક અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જો કે ટ્રકમાં ભરાયેલ પૂઠાં સહિતનો મુદ્દામાલ આગમાં બળી ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. જ્યારે આગ લાગતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો સહિત પોલીસ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક પર અસર પણ જોવા મળી હતી.
